મુક્તાબેન કનુભાઈ પટેલ વાંચનાલાય

ગઈકાલે રાત્રે અમદાવાદમાં મારું વ્યાખ્યાન હતું. વ્યાખ્યાન પૂરું થયા બાદ શ્રીમતી મુકતાબેન અને શ્રીમાન કનુભાઈ મળવા માટે આવ્યા.એમની સાથેના વાર્તાલાપ દ્વારા અને બાજુમાં ઉભેલા બીજા કેટલાક મિત્રોએ આપેલી માહિતી પરથી આ દંપતીની એક અનોખી અને અદભૂત પ્રવૃતિનો પરિચય થયો.
કનુભાઈ પટેલ અમદાવાદના ઉદ્યોગપતિ અને બિલ્ડર છે. આજથી ત્રણ વર્ષ પહેલા એમની લગ્નતિથી નિમિતે પત્ની મુકતાબેનને જરા હટકે ગિફ્ટ આપવાનું કનુભાઈએ નક્કી કર્યું. આ ઉદ્યોગપતિએ લગ્નતિથિના મહિનાઓ પહેલા ગિફ્ટ આપવાની તૈયારી ચાલુ કરી દીધી અને લગ્નતિથિના દિવસે લગભગ 70 લાખની આસપાસની અતિ કિંમતી ગિફ્ટ આપી. આ ગિફ્ટ હતી *મુક્તાબેન કનુભાઈ પટેલ વાંચનાલાય*.
તમને થશે આવી તે વળી કેવી ગિફ્ટ ? કનુભાઈ ખુબ વિચારશીલ અને ચિંતક માણસ. એકવાતનો વિચાર એને વારંવાર આવતો કે અમદાવાદના નિકોલ અને આજુબાજુના ઘણા વિસ્તારોમાં લોકો એક રૂમ રસોડાના મકાનમાં રહેતા હોય છે. આટલા નાના મકાનમાં આખો પરિવાર માંડ માંડ સમાઈ શકતો હોય ત્યારે અભ્યાસ કરતા બાળકોને વાંચવાની ખુબ તકલીફ પડતી હોય છે. આવા વિદ્યાર્થીઓ માટે વાંચનાલાય બનાવી આપવામાં આવે તો વિદ્યાર્થીઓ કોઈપણ જાતના ડિસ્ટર્બન્સ વગર શાંતિથી વાંચી શકે.
કનુભાઈએ નિકોલ વિસ્તારમાં 3500 ચોરસફુટ જગ્યા ખરીદી અને એના પર સુંદર મજાનું બાંધકામ કરીને વિદ્યાર્થીઓ માટે સુવિધાઓથી સજ્જ આધુનિક વાંચનાલય બનાવ્યું. આ વાંચનાલાય કોઈ એક જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાને બદલે તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મુકીને દરિયાદિલીનો પરિચય આપ્યો. વિદ્યાર્થીઓને વાંચવામાં અનુકૂળતા રહે એટલે વાંચનાલાયને વાતાનુકુલીત બનાવ્યું. દર વર્ષે 3000થી વધુ વિદ્યાર્થીઓ આ વાંચનાલાયનો લાભ લે છે. કેટલાક વિદ્યાથીઓ તો એવા છે જે સવારે ટિફિન સાથે લઈને જ વાંચવા માટે આવી જાય અને મોડી રાત સુધી વાંચે. એકસાથે 150થી વધુ વિદ્યાર્થીઓ બેસીને વાંચન કરી શકે છે અને એ ઉપરાંત જ્યાં જગ્યા મળે ત્યાં અન્ય વિદ્યાર્થીઓ પણ ગોઠવાઈ જાય છે. આ વાંચનાલયનો લાભ લઈને 8થી વધુ વિદ્યાર્થીઓએ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને આઈએએસ કે આઇપીએસ જેવું મહત્વનું પદ પ્રાપ્ત કર્યું છે.
આવું અદભૂત વાંચનાલાય તૈયાર કરીને કનુભાઈએ ધર્મપત્ની મુકતાબેનને એમના નામ સાથે ભેટમાં આપ્યું. 70 લાખ જેવો ખર્ચો કર્યા પછી પણ અત્યારે દર વર્ષે સરેરાશ 6 લાખ જેવો ખર્ચો થાય છે, જે કનુભાઈ હસતા હસતા ઉઠાવે છે. કનુભાઈ કહે છે કે "આ કામ કરવાનો જે આનંદ મળે છે એની તુલના રૂપિયા સાથે કરવી શક્ય જ નથી."
સમાજમાં આર્થિક રીતે સક્ષમ સજ્જનો દ્વારા એમના સ્વજનોને આવા પ્રકારની ભેટ આપવાની પરંપરા શરુ થાય તો કેટલાય લોકોની જિંદગી સુધરી જાય.

No comments:

Post a Comment