સ્ત્રીસશક્તિકરણ

હમણા એક જવાબદાર અધિકારી સાથે ચર્ચા કરતા એક વાત જાણવા મળી. એક બહેનના ત્રીજી વખતના છુટાછેડા માટેનો કેઇસ હતો. પ્રથમ વખત છુટાછેડા લેતી વખતે 19 લાખ રૂપિયા લીધા, બીજી વખત છુટાછેડા લેતી વખતે 27 લાખ લીધા અને આ ત્રીજી વખતના છુટાછેડા માટે 35 લાખની માંગ મુકવામાં આવી છે.
આ વાત જાણી ત્યારે ખુબ દુ:ખ થયુ. આમાં વાંક માત્ર છોકરીનો જ હશે એવું કહેવાનો મારો કોઇ ઇરાદો નથી પણ આજકાલ જે કંઇ બની રહ્યુ છે એ સભ્ય સમાજે ચિંતા કરવા જેવુ બની રહ્યુ છે. છેલ્લા થોડા વર્ષોમાં છુટાછેડાનું પ્રમાણ ખુબ વધી ગયુ છે. 10 લગ્ન થાય તો એમાંથી 2 થી 3 લગ્નજીવનનું અકાળે અવસાન થઇ જાય છે. કેટલાક તો લગ્નના એક કે બે મહિનામાં જ છુટા પડી જાય છે. આવુ કેમ થાય છે ? આ માટેના ઘણાબધા કારણો હશે પણ મારા મતે એક અતી મહત્વના કારણ પર આજે આપ સૌ મિત્રો અને ખાસ કરીને યુવતિઓને(આનો મતલબ એવો નહિ સમજતા કે યુવાનોને કંઇ કહેવાપણું જ નથી એને જે કહેવાનું છે એ પણ એક અલગ પોસ્ટ દ્વારા કહીશ) મારે વાત કરવી છે.
આપણામાં દિવસે દિવસે સહનશક્તિ ઓછી થતી જાય છે. આપણે માત્ર આપણી શરતોના આધારે જીવન જીવતા થઇ ગયા છે. બધા આપણને અનુકુળ થાય એવો આગ્રહ રહે છે પણ આપણે બીજાને અનુકુળ થઇએ એવી ઇચ્છા જ નથી થતી. લગ્ન પછી ઘણીબધી દિકરીઓની ફરીયાદ હોય છે કે મને ત્યાં ફાવતું નથી. વાત પણ સાચી છે. જે આંગણામાં 20 વર્ષ કાઢ્યા હોય એ આંગણું છોડીને નવા ઘરમાં બધુ બંધિયાર જેવુ લાગે એ સ્વાભાવિક છે. એક વાત ખાસ સમજજો કે નવા ચશ્મા કે નવા બુટ તરત જ ફાવી ન જાય, થોડો સમય ડંખે-ખૂંચે, પણ થોડા દિવસો પહેરી રાખો એટલે પછી ફાવી જાય એમ નવું ઘર પણ શરુઆતમાં ડંખે એટલે એ ઘર છોડીને ભાગી ન જવાય થોડો સમય વિતાવીએ તો ફાવી જાય. માતા-પિતાએ પણ દિકરીઓને આ સમજ આપવી જોઇએ. દિકરીઓને માતા-પિતાના સહકારની જરુર હોય છે, ચડામણીની નહી.
આજે સમય બદલાયો છે. સ્ત્રીસશક્તિકરણના આ યુગમાં સ્વતંત્રતાનો અર્થ આપણે સાવ જુદો જ સમજી બેઠા છીએ. દરેક દિકરીને પુરી સ્વતંત્રતા મળવી જ જોઇએ. સાસુ અને સસરાએ દિકરીને જેવી છુટછાટ આપતા હોય એવી જ છુટછાટ વહુને પણ આપવી જ જોઇએ પણ સાથે સાથે દરેક પરણેલી સ્ત્રીએ પણ એ સમજવું જોઇએ કે પિયર અને સાસરીયા વચ્ચે થોડો ફેર તો પડે. મકાનમાં હવાની અવર-જવર માટે આપણે બારીઓ રાખીએ છીએ પણ આ જ બારીઓમાંથી વાવાઝોડું પ્રવેશે તો ઘરને તહસનહસ કરી નાંખે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે પાતળી ભેદ રેખા છે. ઘણા પરિવારમાં લગ્ન પછી નવી આવેલી વહુને સ્વતંત્રતા મળે છે પણ સ્વચ્છંદતા છીનવાય જાય છે અને એટલે સહન થતુ નથી, ફાવતું નથી. આપણે મિત્રો સાથેના સંપર્ક છોડી નથી દેવાના પણ વહુ તરીકે નવા સંબંધો પણ બાંધવાના અને નિભાવવાના છે એ ભૂલાય જાય છે.
મને તો એવુ લાગે છે કે લગ્ન પછીની નવી ભૂમિકા ભજવવામાં કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઇએ એની લગ્ન કરતા પહેલા જ તાલીમ લેવી જોઇએ. સ્વસ્થ સમાજ રચના માટે સ્વસ્થ દાંપત્યજીવન અનિવાર્ય છે.

No comments:

Post a Comment