" ગરીબના દિલની અમીરી "

એક પતિ-પત્ની ઘઉં તથા મસાલાની ખરીદી કરવા બજારમાં ગયા. બધો સામાન ખરીદી લીધા પછી એક લાચાર મજૂરને બોલાવ્યો. એની આધેડ ઉંમર, ઊંડી ઉતરી ગયેલી આંખો, વધી ગયેલી દાઢી, મેલાંદાટ કપડાં અને દૂરથી ગંધાતો એનો પરસેવો એની સંઘર્ષમય જિંદગીને બેનકાબ કરતા હતા. 
આવા મજબૂર મજદૂર પાસેથી મજૂરીની રકમ માટે રકઝક કરી પતિ-પત્નીએ એના કરતા પણ નીચી માનસિકતા પ્રગટ કરી. કચવાતા મને ચાલીસ રૂપિયાનું કામ ત્રીસ રૂપિયામાં સ્વીકારી એ આધેડ સામાન અને સરનામું લઈને પરસેવે રેબઝેબ રવાના થયો. એક ગરીબને મજૂરીમાં દશ રૂપિયા ઓછા કરાવીને રાજી થયેલા પતિ-પત્ની ત્રીસ રૂપિયા એડવાન્સ આપવાની દાતારી કરી બેઠા.

દંપતી ઘરે પહોંચ્યું. અડધી કલાક થઇ, કલાક થઇ, દોઢ કલાક થઇ, પછી શ્રીમતીએ ધીરેધીરે પતિને ધમકાવવાનું શરૂ કર્યું. "હું તમને કાયમ કહું છું કે અજાણ્યા માણસનો વિશ્વાસ ન કરવો. મેં તમારું હજાર વાર નાક વાઢ્યું છતાં તમારામાં અક્કલનો છાંટો આવતો નથી. જે માણસ રોજ ટંકનું લાવીને ટંકનું ખાતો હોય એને બાર મહિનાનું અનાજ મળી જાય તો મૂકે ? નક્કી એ નાલાયક આપણો સમાન લઈને ઘરભેગો થઇ ગયો હશે. ચાલો, અત્યારે જ બજારમાં જઈને તપાસ કરીએ અને ન મળે તો પોલીસસ્ટેશન જઈને ફરિયાદ કરીએ.
રસ્તામાં પતિ-પત્નીની નજર એક યુવાન મજૂર ઉપર પડી. યુવાન મજૂરને પેલા આધેડ મજૂર વિશે પૂછવા ઉભો રાખ્યો. એની લારીમાં જોયું તો એમનો જ સામાન હતો. પત્ની ગુસ્સામાં બોલી "પેલો ડોસો ક્યાં ?"
ત્યારે યુવાન મજૂર બોલ્યો કે "બહેન એ છેલ્લા એક મહિનાથી બીમાર હતા. ભૂખ, બીમારી અને ગરમી એમ ત્રણગણા તાપને સહન ન કરી શક્યા. લૂ લાગવાથી એ રસ્તા પર પડીને મરી ગયા. પણ મરતાં પેલા મને કહેતા ગયા કે મેં આ ફેરાના રૂપિયા લઇ લીધા છે એટલે તું સામાન પહોંચાડી દેજે. હું તો મરતાં માણસનું વેણ પાળવા આવ્યો છું."
ગરીબના દિલની અમીરી જોઈને પતિની આંખમાં આંસુ હતા પરંતુ શરમથી ઝૂકી ગયેલી શ્રીમતીની આંખમાં તો પતિની આંખ સામે જોવાની પણ હિંમત નહોતી.
( સત્યઘટના )

ભગવાને મનુષ્ય ની ઈચ્છા સ્વીકારી લીધી..........

ભગવાને એક ગધેડાનું સર્જન કર્યું અને એને કહ્યું, "તું ગધેડા તરીકે ઓળખાશે, તું સૂર્યોદય થી લઈને સુર્યાસ્ત સુધી થાક્યા વગર તારી પીઠ પર બોજો ઉઠાવવાનું કામ કરશે, તું ઘાસ ખાશે, તને બુદ્ધિ નહિ હોય અને તું ૫૦ વર્ષ સુધી જીવશે."
ગધેડો બોલ્યો, "હું ગધેડો થયો એ બરાબર છે પણ ૫૦ વર્ષ નું આયુષ્ય ઘણું બધું કહેવાય, મને ૨૦ વર્ષ નું આયુષ્ય આપો." ઈશ્વરે એની અરજ મંજુર કરી.
ભગવાને કુતરાનું સર્જન કર્યું, એને કહ્યું "તું કુતરો કહેવાશે, તું મનુષ્યોના ઘરોની ચોકીદારી કરશે, તું મનુષ્ય નો પરમ મિત્ર હશે, તું એને નાખેલા રોટલાના ટુકડા ખાશે, અને તું ૩૦ વર્ષ જીવીશ."
કુતરાએ કહ્યું, "હે પ્રભુ ૩૦ વર્ષ નું આયુષ્ય તોઘનું કહેવાય ૧૫ વત્સ રાખો,"
ભગવાને મંજુર કર્યું.

ભગવાને વાંદરો બનાવ્યો અને કહ્યું, "તું વાંદરો કહેવાશે, તું એક ડાળી થી બીજી ડાળી પર જુદા જુદા કરતબ કરતો કુદાકુદ કરશે અને મનોરંજન પૂરું પાડશે, તું ૨૦ વર્ષ જીવીશ."
વાંદરો બોલ્યો "૨૦ વર્ષ તો ઘણા કહેવાય ૧૦ વર્ષ રાખો". ભગવાને મંજુર કર્યું.
છેલ્લે ભગવાને મનુષ્ય બનાવ્યો અને એને કહ્યું : "તું મનુષ્ય છે, પૃથ્વી પર તું એક માત્ર બુદ્ધિજીવી પ્રાણી હોય. તું તારી અક્કલ નાં ઉપયોગ વડે સર્વે પ્રાણીઓનો સ્વામી બનશે. તું વિશ્વને તારા તાબામાં ર્રાખીશ અને ૨૦ વર્ષ જીવીશ."
માણસ બોલ્યો : " પ્રભુ, હું મનુષ્ય ખરો પણ ૨૦ વર્ષનું આયુષ્ય ઘણું ઓછું કહેવાય, મને ગધેડાએ નકારેલ ૩૦ વર્ષ, કુતરાએ નકારેલ ૧૫ વર્ષ અને વાંદરાએ નકારેલ ૧૦ પણ આપી દો." ભગવાને મનુષ્ય ની ઈચ્છા સ્વીકારી લીધી.
અને ત્યારથી, માણસ પોતે માણસ તરીકે ૨૦ વર્ષ જીવે છે,
લગ્ન કરીને ૩૦ વર્ષ ગધેડો બનીને જીવે છે, પોતાની પીઠ પર બધો બોજો ઉપાડી સતત કામ કરતો રહે છે,
બાળકો મોટા થાય એટલે ૧૫ વર્ષ કુતરા તરીકે ઘરની કાળજી રાખી જે મળે તે ખાઈ લે છે,
અંતે જ્યારે વૃદ્ધ થાય ત્યારે નિવૃત્ત થઈને વાંદરા તરીકે ૧૦ વર્ષ સુધી આ પુત્રના ઘરથી પેલા પેલા પુત્રના ઘરે અથવા પુત્રીને ઘરે જઈને જુદા જુદા ખેલ કરીને પુત્રો અને પુત્રીઓને મનોરંજન પૂરું પાડે છે.

માણસાઈ

ગઇકાલે રાત્રે રાજકોટમાં જ એક પાર્ટીપ્લોટના ઉદઘાટન પ્રસંગે જમવા માટે જવાનું થયું. ખુબ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. પાર્ટીપ્લોટનું ઉદઘાટન હોવાથી જમવા સિવાયનો બીજો કોઇ જ પ્રોગ્રામ નહોતો.
જમવા માટે બે કાઉન્ટર હતા અને ખૂબ લાંબી લાઇન હતી. હું પણ હાથમાં પ્લેટ લઇને લાઇનમાં જોડાયો. જેમ જેમ લાઇન આગળ ચાલી તેમ તેમ આપણી સજા ઓછી થતી જતી હોય એમ લાગતું હતું. એવુ લાગતું હતું કે હવે હમણા આપણો વારો આવી જશે. ત્યાં તો કેટલાક મહાપુરુષો આવ્યા.લાઇનમાં ઉભા રહેવાના બદલે સીધી જ પ્લેટ હાથમાં ઉપાડી. પ્લેટ લીધા પછી પણ લાઇનમાં ઉભા રહેવાના બદલે સીધા જ ભોજનના કાઉન્ટર ઉપર પહોંચી ગયા. લાઇનમાં ઉભેલા કોઇ માણસો કદાચ એને કીડા-મકોડા લાગ્યા હશે.
બે ચાર વ્યક્તિઓએ આવુ કર્યુ હોત તો સમજી શકાય કે કદાચ કોઇ ઉતાવળ હશે પણ મોટાભાગના લોકો હાથમાં પ્લેટ લઇને સીધા જ ભોજનના કાઉન્ટર પર જ પહોંચી જતા હતા. જમતી વખતે પણ જમવાની સેવા પુરી પાડનાર કેટરર્સ વાળા છોકરા કે છોકરીઓ સાથે પણ બહુ ખરાબ વર્તન થતુ હોય એવુ અનુભવાયુ. એ લોકો સાથે સભ્યતાથી વાત કરવાને બદલે તોછડાઇથી વાત કરીને અમે શેઠ અને તમે નોકર છો એવુ સાબિત કરવાનો પ્રયાસ કરતા હોય એવુ લાગતું હતું. આપણે એમને પૈસા ચુકવીએ છીએ એટલે એમની પાસેથી સેવા લેવાનો અધિકાર છે પણ એનું સ્વમાન જળવાઇ રહે એ પણ જોવું જોઇએ. આખરે એ પણ માણસો જ છે.
આ બધુ જોઇને મેં એટલુ તો નક્કી કર્યુ કે હું મારા દિકરાને જમવા જતી વખતે કે બીજા કોઇપણ પ્રકારના જાહેર કાર્યક્રમમાં બીજા લોકોનું અપમાન ન થાય તે માટે શું ધ્યાનમાં રાખવું જોઇએ એ ચોક્કસ શીખવીશ. એને લાઇનમાં ઉભા રહેવાનું પણ શીખવીશ અને નાનામાં નાના માણસનો આદર કરવાનું પણ શીખવીશ.
આ ઢાંઢાઓમાં તો હવે કદાચ કોઇ ફેર નહિ પડેઆપણે આપણી ભાવી પેઢીને આપણે સારી રીતભાત માટે તૈયાર કરવી જોઇએ. કોઇપણ જાહેરપ્રસંગમાં કેવી રીતે વર્તવું એની નવી પેઢીને તાલીમ આપવી જોઇએ.
કડવું છે પણ સાચુ છે.

મુક્તાબેન કનુભાઈ પટેલ વાંચનાલાય

ગઈકાલે રાત્રે અમદાવાદમાં મારું વ્યાખ્યાન હતું. વ્યાખ્યાન પૂરું થયા બાદ શ્રીમતી મુકતાબેન અને શ્રીમાન કનુભાઈ મળવા માટે આવ્યા.એમની સાથેના વાર્તાલાપ દ્વારા અને બાજુમાં ઉભેલા બીજા કેટલાક મિત્રોએ આપેલી માહિતી પરથી આ દંપતીની એક અનોખી અને અદભૂત પ્રવૃતિનો પરિચય થયો.
કનુભાઈ પટેલ અમદાવાદના ઉદ્યોગપતિ અને બિલ્ડર છે. આજથી ત્રણ વર્ષ પહેલા એમની લગ્નતિથી નિમિતે પત્ની મુકતાબેનને જરા હટકે ગિફ્ટ આપવાનું કનુભાઈએ નક્કી કર્યું. આ ઉદ્યોગપતિએ લગ્નતિથિના મહિનાઓ પહેલા ગિફ્ટ આપવાની તૈયારી ચાલુ કરી દીધી અને લગ્નતિથિના દિવસે લગભગ 70 લાખની આસપાસની અતિ કિંમતી ગિફ્ટ આપી. આ ગિફ્ટ હતી *મુક્તાબેન કનુભાઈ પટેલ વાંચનાલાય*.
તમને થશે આવી તે વળી કેવી ગિફ્ટ ? કનુભાઈ ખુબ વિચારશીલ અને ચિંતક માણસ. એકવાતનો વિચાર એને વારંવાર આવતો કે અમદાવાદના નિકોલ અને આજુબાજુના ઘણા વિસ્તારોમાં લોકો એક રૂમ રસોડાના મકાનમાં રહેતા હોય છે. આટલા નાના મકાનમાં આખો પરિવાર માંડ માંડ સમાઈ શકતો હોય ત્યારે અભ્યાસ કરતા બાળકોને વાંચવાની ખુબ તકલીફ પડતી હોય છે. આવા વિદ્યાર્થીઓ માટે વાંચનાલાય બનાવી આપવામાં આવે તો વિદ્યાર્થીઓ કોઈપણ જાતના ડિસ્ટર્બન્સ વગર શાંતિથી વાંચી શકે.
કનુભાઈએ નિકોલ વિસ્તારમાં 3500 ચોરસફુટ જગ્યા ખરીદી અને એના પર સુંદર મજાનું બાંધકામ કરીને વિદ્યાર્થીઓ માટે સુવિધાઓથી સજ્જ આધુનિક વાંચનાલય બનાવ્યું. આ વાંચનાલાય કોઈ એક જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાને બદલે તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મુકીને દરિયાદિલીનો પરિચય આપ્યો. વિદ્યાર્થીઓને વાંચવામાં અનુકૂળતા રહે એટલે વાંચનાલાયને વાતાનુકુલીત બનાવ્યું. દર વર્ષે 3000થી વધુ વિદ્યાર્થીઓ આ વાંચનાલાયનો લાભ લે છે. કેટલાક વિદ્યાથીઓ તો એવા છે જે સવારે ટિફિન સાથે લઈને જ વાંચવા માટે આવી જાય અને મોડી રાત સુધી વાંચે. એકસાથે 150થી વધુ વિદ્યાર્થીઓ બેસીને વાંચન કરી શકે છે અને એ ઉપરાંત જ્યાં જગ્યા મળે ત્યાં અન્ય વિદ્યાર્થીઓ પણ ગોઠવાઈ જાય છે. આ વાંચનાલયનો લાભ લઈને 8થી વધુ વિદ્યાર્થીઓએ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને આઈએએસ કે આઇપીએસ જેવું મહત્વનું પદ પ્રાપ્ત કર્યું છે.
આવું અદભૂત વાંચનાલાય તૈયાર કરીને કનુભાઈએ ધર્મપત્ની મુકતાબેનને એમના નામ સાથે ભેટમાં આપ્યું. 70 લાખ જેવો ખર્ચો કર્યા પછી પણ અત્યારે દર વર્ષે સરેરાશ 6 લાખ જેવો ખર્ચો થાય છે, જે કનુભાઈ હસતા હસતા ઉઠાવે છે. કનુભાઈ કહે છે કે "આ કામ કરવાનો જે આનંદ મળે છે એની તુલના રૂપિયા સાથે કરવી શક્ય જ નથી."
સમાજમાં આર્થિક રીતે સક્ષમ સજ્જનો દ્વારા એમના સ્વજનોને આવા પ્રકારની ભેટ આપવાની પરંપરા શરુ થાય તો કેટલાય લોકોની જિંદગી સુધરી જાય.

લક્ષ્મી

"એ..હેંડો બા શાકભાજી લેવા"છેલ્લા વીસેક વર્ષથી આ લક્ષ્મીને એકધારી આમ જ મારી સોસાયટીમાં શાકભાજી વેચવા આવતી જોઉં છું.મને બરાબર યાદ છે ; વીસેક વર્ષ પહેલાં અમારે ત્યાં શાકભાજી વેચવા આવતી એક વૃધ્ધાએ પંદર સોળ વર્ષની લાલ સાળીમાં વિંટળાએલી આ લક્ષ્મીનો પરીચય શેરીમાં કરાવતાં કહેલું "આ મારા છોકરાની વહું સ...હવથી મારી જગ્યાએ મારી આ વહું શાક વેચવા આવશ્ય"બસ એના બીજા દિવસથી જ હાથમાં મહેંદીનાં ટપકાં વાળી આ લક્ષ્મી રોજ સમયસર બુમ પાડી રહી છે;"એ..હેંડો બા શાક લેવા" "એ..હેંડો ભાભી શાક લેવા"...


બે મહીના પહેલાં જ આ લક્ષ્મી એના છોકરાની વહુને સાથે લઇ શાકભાજી વેચવા આવેલી.એક નવોઢાથી પાંચ સંતાનોની માતા અને સાસુ બનવા સુધીની એની આ યાત્રા જ સાચી " જીવન રથયાત્રા"છે.લારીના નીચેના ભાગે કપડું બાંધી એમાં સુતેલાં એનાં છોકરાં જોઇ મનમાં એક પ઼શ્ન ઉભો થાય;"શું મેટરનીટી લીવ ના અધિકાર માટે પણ અલગ અલગ માપદંડ હોય? શું આ અધિકાર માટે માત્ર સ્ત્રી હોવું પુરતું નથી? "સ્વતંત્રતા કે મતભેદના બહાને ત્રણ ત્રણ વાર છૂટાછેડા લેનારી ભણેલી ઞણેલી કોઈ કાજલ ઓઝા વૈધ સાચી કે આ અભણ લક્ષ્મી સાચી?" દારુડીયા પતિ પાસેથી અપેક્ષાઓ રાખવી કે એના વિશે વારંવાર ફરિયાદો કરી જીવવા કરતાં સવાર સાંજ " એ. . હેંડો બા શાક લેવા"ની બુમો વધું ગૌરવશાળી છે. ફેસબુક કે ટ્વિટર પર ભલે આપણે કોઈને પણ ફોલોઅ કરીએ, પણ, વાસ્તવિક જીવનમાં આવી કોઈ લક્ષ્મીને જ આદર્શ માનવી પડે. એક હદ સુધી દુઃખ સહન કરવું,એનો સામનો કરવો અને એમાંથી સુખનો માર્ગ શોધવો એનું નામ જ "જીવન" પણ, સામાન્ય દુઃખનો અણસાર જોઇને જ પલાયનવાદી થઈ જગ આખામાં સુખનો ઢંઢેરો પિટવાની વૃત્તિ હાસ્યાસ્પદ અને નિંદનિય પણ છે.આપણી પોતાની આંખો પર પટ્ટી બાંધવાથી આખું જગત અંધ ના થાય!



આવી હજારો લક્ષ્મીઓ સૂર્યોદયની સાથે નિકળી પડે છે.કોઇ પસ્તી કે ભંગાર ભેગું કરે છે,તો કોઈ શાકભાજી વેચી ગુજરાન ચલાવે છે.એમની બાયોમેટ઼િક્સ એટેન્ડન્સ લેનાર કોઈ નથી, છતાં કડકડતી ઠંડી,મૂશળધાર વરસાદ કે આવા ધોમધખતા તાપમાં ય એ હાજર છે. પેલા ગોરા થવાના સાબુ કે ક઼ીમ વાળા એમની જાહેરાતમાં આવી કોઈ મહેનતકશ લક્ષ્મીને ગોરી થતાં બતાવે તો કદાચ મારા જેવા કસ્ટમર્સને વધુ ભરોસો બેસે બાકી તો "પોલું હતું તે બોલ્યું,એમાં તેં શી કરી કારીગરી,સાંબેલું બજાવે તો જાણું,કે તું શાણો છે"



હજારો પરિવારનું અર્થતંત્ર આવી લક્ષ્મીઓ પર નિર્ભર છે.એ અભણ છે પણ, એની આંગળીના વેઢે ગણિત છે.એની એ તૂટી ફુટી લારીમાં ( રેકડી ) એનાં બાળકોનું ભવિષ્ય છે.કોઇ કોઇ વાર તમને એ ચાલબાજ પણ લાગશે, પણ,એની આ ચાલબાજી એના પોતાના માટે બંગલો બાંધવા નહી પણ,એના છાપરાનો ચુલો સળગાવવા પુરતી જ છે . હવે, આવા તળકામાં કોઈ શાકભાજી કે ભંગારની રેકડી લઇ કોઇ લક્ષ્મી સામે મળી જાય તો ભલે એને તાળીઓના ગડગડાટથી વધાવી ના શકીએ પણ, એને એક સન્માન ભરી નજરે તો જોઈ લેજો.એનો આ અબાધિત અધિકાર છે. ફેસબુક કે વોટ્સ એપ પર ન્યાય અન્યાયની ડાહ્યી ડાહ્યી વાતો કરનારી કે વાતે વાતે ફરિયાદ કરનાર મારી બહેનોના કાન પકડીને કોઇ લક્ષ્મીની સામે ઉભી કરી દઉં ત્યારે એમને વાસ્તવિકતા સમજાશે કે તેઓ પુરુષ સમોવડી નહિ પણ, પુરુષોથી પુરાં એક હજાર ડગલાં આગળ છે. હા..લક્ષ્મી છો તમે!..લક્ષ્મી..!
જય શ્રી કૃષ્ણ

સ્ત્રીસશક્તિકરણ

હમણા એક જવાબદાર અધિકારી સાથે ચર્ચા કરતા એક વાત જાણવા મળી. એક બહેનના ત્રીજી વખતના છુટાછેડા માટેનો કેઇસ હતો. પ્રથમ વખત છુટાછેડા લેતી વખતે 19 લાખ રૂપિયા લીધા, બીજી વખત છુટાછેડા લેતી વખતે 27 લાખ લીધા અને આ ત્રીજી વખતના છુટાછેડા માટે 35 લાખની માંગ મુકવામાં આવી છે.
આ વાત જાણી ત્યારે ખુબ દુ:ખ થયુ. આમાં વાંક માત્ર છોકરીનો જ હશે એવું કહેવાનો મારો કોઇ ઇરાદો નથી પણ આજકાલ જે કંઇ બની રહ્યુ છે એ સભ્ય સમાજે ચિંતા કરવા જેવુ બની રહ્યુ છે. છેલ્લા થોડા વર્ષોમાં છુટાછેડાનું પ્રમાણ ખુબ વધી ગયુ છે. 10 લગ્ન થાય તો એમાંથી 2 થી 3 લગ્નજીવનનું અકાળે અવસાન થઇ જાય છે. કેટલાક તો લગ્નના એક કે બે મહિનામાં જ છુટા પડી જાય છે. આવુ કેમ થાય છે ? આ માટેના ઘણાબધા કારણો હશે પણ મારા મતે એક અતી મહત્વના કારણ પર આજે આપ સૌ મિત્રો અને ખાસ કરીને યુવતિઓને(આનો મતલબ એવો નહિ સમજતા કે યુવાનોને કંઇ કહેવાપણું જ નથી એને જે કહેવાનું છે એ પણ એક અલગ પોસ્ટ દ્વારા કહીશ) મારે વાત કરવી છે.
આપણામાં દિવસે દિવસે સહનશક્તિ ઓછી થતી જાય છે. આપણે માત્ર આપણી શરતોના આધારે જીવન જીવતા થઇ ગયા છે. બધા આપણને અનુકુળ થાય એવો આગ્રહ રહે છે પણ આપણે બીજાને અનુકુળ થઇએ એવી ઇચ્છા જ નથી થતી. લગ્ન પછી ઘણીબધી દિકરીઓની ફરીયાદ હોય છે કે મને ત્યાં ફાવતું નથી. વાત પણ સાચી છે. જે આંગણામાં 20 વર્ષ કાઢ્યા હોય એ આંગણું છોડીને નવા ઘરમાં બધુ બંધિયાર જેવુ લાગે એ સ્વાભાવિક છે. એક વાત ખાસ સમજજો કે નવા ચશ્મા કે નવા બુટ તરત જ ફાવી ન જાય, થોડો સમય ડંખે-ખૂંચે, પણ થોડા દિવસો પહેરી રાખો એટલે પછી ફાવી જાય એમ નવું ઘર પણ શરુઆતમાં ડંખે એટલે એ ઘર છોડીને ભાગી ન જવાય થોડો સમય વિતાવીએ તો ફાવી જાય. માતા-પિતાએ પણ દિકરીઓને આ સમજ આપવી જોઇએ. દિકરીઓને માતા-પિતાના સહકારની જરુર હોય છે, ચડામણીની નહી.
આજે સમય બદલાયો છે. સ્ત્રીસશક્તિકરણના આ યુગમાં સ્વતંત્રતાનો અર્થ આપણે સાવ જુદો જ સમજી બેઠા છીએ. દરેક દિકરીને પુરી સ્વતંત્રતા મળવી જ જોઇએ. સાસુ અને સસરાએ દિકરીને જેવી છુટછાટ આપતા હોય એવી જ છુટછાટ વહુને પણ આપવી જ જોઇએ પણ સાથે સાથે દરેક પરણેલી સ્ત્રીએ પણ એ સમજવું જોઇએ કે પિયર અને સાસરીયા વચ્ચે થોડો ફેર તો પડે. મકાનમાં હવાની અવર-જવર માટે આપણે બારીઓ રાખીએ છીએ પણ આ જ બારીઓમાંથી વાવાઝોડું પ્રવેશે તો ઘરને તહસનહસ કરી નાંખે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે પાતળી ભેદ રેખા છે. ઘણા પરિવારમાં લગ્ન પછી નવી આવેલી વહુને સ્વતંત્રતા મળે છે પણ સ્વચ્છંદતા છીનવાય જાય છે અને એટલે સહન થતુ નથી, ફાવતું નથી. આપણે મિત્રો સાથેના સંપર્ક છોડી નથી દેવાના પણ વહુ તરીકે નવા સંબંધો પણ બાંધવાના અને નિભાવવાના છે એ ભૂલાય જાય છે.
મને તો એવુ લાગે છે કે લગ્ન પછીની નવી ભૂમિકા ભજવવામાં કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઇએ એની લગ્ન કરતા પહેલા જ તાલીમ લેવી જોઇએ. સ્વસ્થ સમાજ રચના માટે સ્વસ્થ દાંપત્યજીવન અનિવાર્ય છે.

વાસ્તવિક્તા

ગઈકાલે ટૂંકા લગ્નજીવન વિષે મેં પોસ્ટ મૂકી હતી જેમાં દીકરીની ક્યાં ભૂલ થાય છે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો. કેટલાક મિત્રોને પોસ્ટ સામે સખત વિરોધ હતો અને હું એનો સ્વીકાર પણ કરું છું. બધા તમારી પોસ્ટના વખાણ જ કરે એવું ના હોય યોગ્ય વિરોધ પણ થવો જ જોઈએ. પણ હા જે લખ્યું હતું એ નરી વાસ્તવિકતા હતી અને એ તો જેને અનુભવી હોય એને જ સમજાય.
લગ્નબાદ બહુ ટૂંકા સમયમાં થતા છુટા છેડા માટે બીજું જવાબદાર તત્વ છે છોકરીનો સાસરિયાં પક્ષ. કેટલાક પરિવારમાં વહુને દીકરીની જેમ રાખવામાં આવે છે પણ મોટા ભાગના પરિવારમાં એને પારકા ઘરની દીકરી ગણવામાં આવે છે. જે છોકરી 20 વર્ષ પિયરમાં લાડકોડથી ઉછરી હોય એના પર સીધું જ બંધન આવે ત્યારે એ બંધન સ્વીકારવા માટે એને હૂંફ અને પ્રેમની ખુબ જરૂર હોય છે. મોટાભાગના પરિવાર ઘરમાં આવેલી વહુને હૂંફ અને પ્રેમ આપવામાં ઉણા ઉતારે છે. વહુ સાથે જાણે કે અજાણે એવું વર્તન થાય છે જે એને યાદ અપાવે કે તું દીકરી નહિ વહુ છે.
એક પરિવારમાં મેં પ્રત્યક્ષ જોયેલું કે પરિવારના બધા સભ્યો બેઠા હતા. મહેમાન માટે નાસ્તો લાવવાની વાત આવી એટલે વગર કહ્યે વહુ ઉભી થઇ. સસરાએ તુરંત જ કહ્યું, "બેટા, તું આ ઘરમાં નવી આવી છો. તું બેસ જેથી મહેમાન સાથે વાતો થાય અને પરિચય થાય." આ ભાઈએ વહુને વાતો કરવા બેસાડી અને દીકરીને નાસ્તો લાવવા કહ્યું. દીકરીએ પણ હસતા હસતા આ કામ કર્યું. જો આવું વાતાવરણ સર્જાય તો વહુ સરળતાથી નવા પરિવારમાં ભળી જાય.
કોઈ છોડને એક જગ્યાએથી ઉખાડીને બીજી જગ્યાએ રોપવાનો હોય ત્યારે બહુ ધ્યાન રાખવું પડે. નવી માટી એને અનુકૂળ ના આવે એટલે અનુકૂળ આવે એવી માટી લાવવી પડે. શરૂઆતના સમયમાં પૂરતું ખાતર પાણી પણ આપવું પડે. જો આ બધું યોગ્ય રીતે થાય તો નવી માટીમાં પણ છોડ મહોરી ઉઠે અને સમય આવ્યે યોગ્ય ફળ પણ આપે. મને લાગે છે કે દીકરીને નવા ઘરમાં સેટ કરવાનું યોગ્ય વાતાવરણ તૈયાર કરવામાં આપણે નિષ્ફળ નીવડ્યા છીએ. છોડે પણ એડજસ્ટ થવાના પ્રયાસ કરવા જોઈએ પણ સામે પક્ષે માટીએ અને વાતાવરણે પણ સાથ આપવો જોઈએ.
કદાચ સાસુ સસરા હજુ જુનવાણી વિચારસરણી વાળા હોય એટલે જાતને બદલવામાં મુશ્કેલી થાય પણ પતિ અને નણંદ જો મિત્ર બનીને રહે તો પણ વહુ સાસુ સસરાની ટકટકને સહન કરી લે. લગ્ન પછી નવા પરિવારમાં પતિ એક જ એવું પાત્ર છે જેની પાસે પત્ની પેટખોલીને વાત કરી શકે. જો પતિને વાત સાંભળવાનો કે સમજવાનો સમય ના હોય તો પછી પત્ની બીજા કોઈ સાથે વાત કરવાની જ છે.
આપણે બંને પક્ષે સમજણપૂર્વકની સજાગતા રાખીએ અને પરિવર્તન લાવીએ તો લગ્નજીવન મધુર બની રહે. ઘરાસંસાર છે એટલે પ્રશ્નો તો રહે જ પણ એનો ઉકેલ શોધવાનો પ્રયાસ થવો જોઈએ. દોરીમાં ગાંઠ પડે તો દોરી કાપી નાખવાની ના હોય ગાંઠ ખોલવાનો પ્રયાસ કરવાનો હોય !